પંઢરપુર ખાતે કરોડો હિંદુઓના આરાધ્ય દૈવત એવા ‘સ્વયંભૂ’ શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મૂર્તિ પર પુરાતત્વ વિભાગ દ્વારા ૨૩-૨૪ જૂનના દિવસે પ્રસ્તાવિત રાસાયણિક વજ્રલેપન પ્રક્રિયાનો (Epoxy/Silicon) વારકરી સંપ્રદાય અને મહારાષ્ટ્ર મંદિર મહાસંઘે ઉગ્ર વિરોધ કર્યો છે. કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલું લેપન આગામી ૧૦ વર્ષ સુધી ચાલશે એવો દાવો વહીવટીતંત્રે કર્યો હતો; પરંતુ માત્ર ૪-૫ વર્ષમાં જ મૂર્તિને ફરીથી લેપનની આવશ્યકતા પડવી એ આ રાસાયણિક પ્રક્રિયાની નિષ્ફળતા પુરવાર કરે છે. છેલ્લા ૨૮ યુગોથી ઈંટ પર સુરક્ષિત ઊભેલા પાંડુરંગની મૂર્તિના પગમાં કોરોના લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાડો કેવી રીતે પડ્યો અને શ્રી રુક્મિણી માતાના પગ કેમ ખરાબ થયા, તેનો કોઈ શાસ્ત્રીય ઉત્તર હજુ સુધી મંદિર સમિતિ કે પુરાતત્વ વિભાગ આપી શક્યા નથી. કૃત્રિમ રસાયણોને કારણે પથ્થરનું કુદરતી શ્વસન અટકી જાય છે અને મૂર્તિ અંદરથી બરડ (ઝટ ભાંગી જાય તેવી) થવાનો ગંભીર ધોકો રહેલો છે. આથી, વારકરી સંત-મહંતો અને મૂર્તિશાસ્ત્રીઓને વિશ્વાસમાં લીધા વિના જો વહીવટીતંત્ર એકતરફી પગલું ભરશે, તો સમગ્ર મહારાષ્ટ્રમાં જનઆક્રોશ ફાટી નીકળશે. આટલું થવા છતાં જો રાસાયણિક લેપન પ્રક્રિયા થોપવાનો પ્રયાસ કરવામાં આવશે, તો અમે શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ વિરુદ્ધ ન્યાયલયમાં અરજી દાખલ કરીશું, એવો ઈશારો મહાસંઘના રાષ્ટ્રીય સંગઠક શ્રી. સુનીલ ઘનવટે પત્રકાર પરિષદમાં આપ્યો છે. આ અંગેનું નિવેદન મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, કલેક્ટર અને મંદિર સમિતિને સુપરત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વારકરી પાઈક સંઘના હ.ભ.પ. રામકૃષ્ણ હનુમંત મહારાજ વીર, પ્રજ્ઞાપુરી જ્ઞાનપીઠ અક્કલકોટના પીઠાધિપતિ ધર્માધિકારી શ્રી. પ્રસાદ પંડિત, હિંદુ રાષ્ટ્ર સમન્વય સમિતિના જિલ્લા સંયોજક શ્રી. ચંદ્રકાંત રમણશેટ્ટી, મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના શ્રી. વિનોદ રસાળ અને હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. રાજન બુણગે ઉપસ્થિત હતા.
૧૦ વર્ષ પહેલાં કોલ્હાપુરની શ્રી મહાલક્ષ્મીદેવીની મૂર્તિ માટે સેંદ્રિય (ઑર્ગેનિક) લેપન પ્રક્રિયાનો ઉપયોગ કરીને વજ્રલેપ કરાયો હતો, તો પંઢરપુરની મૂર્તિ માટે રાસાયણિક લેપનનો આગ્રહ શા માટે ?
૧૦ વર્ષ પહેલાં જ્યારે કોલ્હાપુરની શ્રી મહાલક્ષ્મીદેવીની મૂર્તિ પર કેંદ્રીય પુરાતત્વ વિભાગના અધિકારી એમ.આર. સિંઘ દ્વારા ૨૨ જુલાઈથી ૬ ઓગસ્ટ ૨૦૧૫ દરમિયાન વજ્રલેપ કરવામાં આવ્યો હતો. ત્યારે શ્રી મહાલક્ષ્મીદેવીની મૂર્તિ જે પથ્થરમાંથી બનેલી છે તે જ પથ્થરના પાવડરનું ચોક્કસ પ્રમાણમાં મિશ્રણ મૂર્તિમાં ભરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં મૂર્તિ પર બહેડા, દૂર્વાનો અર્ક અને ભિલામાનું તેલ (બિબ્બા તેલ) વાપરીને સેંદ્રિય મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો તે સમયે શ્રી મહાલક્ષ્મીદેવીની મૂર્તિ માટે સેંદ્રિય લેપન પ્રક્રિયાનો ઉપયોગ કરીને વજ્રલેપ કરવામાં આવ્યો હતો, તો હવે પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિ માટે રાસાયણિક લેપનનો આગ્રહ શા માટે રાખવામાં આવી રહ્યો છે? જો તે સમયે કરવામાં આવેલી કામગીરી યોગ્ય હતી, તો અત્યારની કામગીરી અયોગ્ય છે તેમ જ કહેવું પડશે. ખૂબ જ ઓછા ખર્ચમાં થતા સેંદ્રિય લેપનને બદલે ખર્ચાળ, રાસાયણિક અને અશાસ્ત્રીય લેપનનો આગ્રહ રાખીને પુરાતત્વ વિભાગના અધિકારી વિલાસ વહાણે શું હાંસલ કરવા માંગે છે? શું અધિક નિધી વાપરવા માટે જ આ ષડયંત્ર રચવામાં નથી આવી રહ્યું ને? એવી શંકા કરવાને અહીં ચોક્કસપણે અવકાશ છે !
મૂર્તિ પર રાસાયણિક લેપન કરવું ખોટું છે ! -શ્રી સ્વામી જગદ્ગુરુ શંકરાચાર્ય પીઠ, કરવીર
આ સંદર્ભે કરવીર પીઠના શ્રી સ્વામી જગદ્ગુરુ શંકરાચાર્યનો અભિપ્રાય પૂછવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, ‘‘यथा देहे तथा देवे’’(જેમ શરીરમાં તેમ દેવમાં) એ ઉક્તિ મુજબ, રાસાયણિક વજ્રલેપ કરવામાં આવે તો જે રીતે કોઈપણ રસાયણ આપણા શરીરને બાળે છે, તેવી જ રીતે તે મૂર્તિમાં પણ બળતરા થાય છે. તેથી ‘રાસાયણિક વજ્રલેપ ન કરવો જોઈએ’, એવો અમારો સ્પષ્ટ અભિપ્રાય છે.’’ આથી શંકરાચાર્ય જેવા આધ્યાત્મિક ક્ષેત્રના સર્વોચ્ચ વડા કરતાં પુરાતત્વ વિભાગના અધિકારીઓ વધુ સમજે છે કે શું? એવો પ્રશ્ન આ નિમિત્તે ઉપસ્થિત થઈ રહ્યો છે.
વારકરી પાઈક સંઘના હ.ભ.પ. રામકૃષ્ણ હનુમંત મહારાજ વીરે જણાવ્યું હતું કે, ‘‘છેલ્લા કેટલાક વર્ષોમાં મૂર્તિ પર ૪ થી ૫ વેળા રાસાયણિક પ્રયોગો કરવામાં આવ્યા છે, જેના પરિણામે મૂર્તિને નુકસાન થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે. કોલ્હાપુરની શ્રી મહાલક્ષ્મી દેવીની મૂર્તિ પર થયેલી રાસાયણિક પ્રક્રિયાને કારણે મૂર્તિને ભારે નુકસાન થયું હતું, આ ઇતિહાસ આપણી નજર સામે હોવા છતાં પંઢરપુરમાં ફરી એ જ ભૂલ પુનરાવર્તિત કરવામાં આવી રહી છે. કોઈપણ વૈજ્ઞાનિક પ્રક્રિયા પહેલાં તેની દીવાની (Civil) અને ફોજદારી (Criminal) ઉત્તરદાયિત્વ (Legal Liability) નક્કી થવી આવશ્યક છે; તેથી જો આ પ્રક્રિયામાં વિઠ્ઠલ કે રુક્મિણી માતાની મૂર્તિને કોઈ નુકસાન થશે, તો સંબંધિત અધિકારીઓ અને મંદિર સમિતિ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે સીધો ફોજદારી ગુનો દાખલ કરવા માટે વારકરી અને હિંદુ સંગઠનો ન્યાયાલયના દ્વાર ખખડાવશે.’’


