મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયાર કરેલો ‘મુંબઈ વોર રૂમ’ સોમવારે ઔપચારિક રીતે કાર્યરત થયું. કેન્દ્રિય સહ સંગઠન મંત્રી શિવપ્રકાશના હસ્તે મુંબઈ ભાજપના વોર રૂમ અને ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. વોર રૂમથી આગામી ૨૫ દિવસ સુધી ચૂંટણી સંબંધિત તમામ નિર્ણયો અને વ્યૂહરચનાઓનું સંચાલન થશે.વોર રૂમમાં મુંબઈગરાના પ્રતિસાદ, રાજકીય પરિસ્થિતિનું વિશ્લેષણ, મહત્વના મુદ્દાઓ પર નજર અને પ્રચારની દિશા નક્કી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. દરેક પ્રભાગમાં કાર્યરત ભાજપના કાર્યકરો સાથે સતત સંપર્ક રાખીને ગ્રાઉન્ડ લેવલ પરથી મળતા ફીડબેકના આધારે તરત જ જરૂરી ફેરફાર કરવામાં આવશે.મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાતમે જણાવ્યું કે, વોર રૂમ પાર્ટીનું ‘કમાન્ડ સેન્ટર’ બનીને કામ કરશે. દરેક ઉમેદવારના ચૂંટણી કાર્યાલય સાથે સીધો સંપર્ક રહેશે અને દરરોજના અભ્યાસ બાદ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવશે.આ પ્રસંગે સાતમે ઉદ્ધવ ઠાકરે જૂથ પર ટીકા કરતા જણાવ્યું કે તાજેતરની નગરપાલિકા અને નગરપરિષદની ચૂંટણીના પરિણામો ભાજપને જનતાનો આશીર્વાદ દર્શાવે છે. મુંબઈમાં ૧૫૦થી વધુ ભાજપના નગરસેવકો ચૂંટાઈ આવશે અને મહાયુતિનો મેયર સત્તામાં આવશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.વોર રૂમના ઉદઘાટન બાદ યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ, ઉપનગરના પાલક પ્રધાન એડ. આશિષ શેલાર સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
