0

Share

જય સંતોષી માં (1975): ઓછા બજેટની પરંતું સૌથી મોટો ધાર્મિક સિનેમેટિક ચમત્કાર

Post details:

ગુજરાતી ફિલ્મ લાલો : જય શ્રી કૃષ્ણ સદા સહાયતે ધૂમ મચાવી રહી છે. ફિલ્મની વાર્તા આમ તો સામાજિક તાણાવાણા ધરાવે છે. પરંતુ એમાં દ્વારકાધીશ-શ્રી કૃષ્ણ-લાલો પ્રત્યેની શ્રદ્ધા ધરાવતા પરિવારની છે. લાલો કેવી રીતે એ પરિવારને મુસીબતોમાંથી બહાર કાઢે છે એની વાત આલેખાઈ છે. ફિલ્મ દર્શકોને સ્પર્શી ગઈ છે અને થિયેટરમાં ભજન-ગરબા ગવાય છે, અને રમાય પણ છે, પૂજા થાય છે અને લાલાને પ્રસાદ પણ ધરાવાય છે. આવું જ કંઇક 1975માં આવેલી જય સંતોષી મા ફિલ્મ વખતે પણ જોવા મળ્યું હતું. તો જાણીએ જય સંતોષી મા વિશેની રસપ્રદ વાતો.
બોલીવુડના સુવર્ણયુગ – 1975માં, જ્યાં શોલે અને દીવાર જેવી સુપરહિટ ફિલ્મો પોતાની છાપ મૂકી રહી હતી, ત્યાં એક નાનાં બજેટમાં કોઈ પણ પ્રકારના પ્રચાર વિના રિલીઝ થયેલી ફિલ્મે સમગ્ર દેશમાં ભક્તિનો જુવાળ ઉઠાવ્યો.
આ ફિલ્મ હતી જય સંતોષી મા. ન તો ભારે સેટ્સ, ન તો સુપરસ્ટાર્સ, ન તો કોઇ વિશેષ ઇફેક્ટ્સ… ફક્ત શ્રદ્ધા, સાદાઈ અને હૃદયને સ્પર્શતી વાર્તા.
મેકિંગ પાછળની વાત
જય સંતોષી મા તે સમયે ખૂબ જ ઓછા બજેટમાં અંદાજે 5 થી 7 લાખ રૂપિયામાં બનાવવામાં આવી હતી. પ્રોડ્યૂસર વિત્થલભાઈ ઝવેરી અને ડિરેક્ટર વિજય શર્મા માટે આ વિશ્વાસનો પ્રોજેક્ટ હતો. ફિલ્મની ટીમ પણ બહુ મોટી ન હતી. મિતભાષી કલાકારો અને સરળ ટેકનિક સાથે ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે સ્ટુડિયો સેટમાં થયું. આસાન ભાષામાં રજૂ કરાયેલી આ ભક્તિભાવ દર્શાવતી ફિલ્મનું મુખ્ય બળ હતું… ભાવના.
કથા – ભક્તિ, પરિક્ષા અને ‘વિશ્વાસ’ની શ્રદ્ધામય યાત્રા
ફિલ્મની વાર્તા સીધી–સરળ પરંતુ અસરકારક હતી. સંતોષી માતાની ભક્ત સત્યવતીનાં જીવનની પરીક્ષાઓ, સહનશીલતા અને વિશ્વાસ પર આધારિત. સત્યવતીનું પાત્ર ભજવનારી કાનન કૌશલનો નિર્દોષ અભિનય લોકોના હૈયાને સ્પર્શી ગયો હતો. ફિલ્મમાં દર્શાવવામાં આવેલી સંતોષ, સહનશીલતા અને સ્તુતિની ભાવનાઓએ આ ફિલ્મને માત્ર ફિલ્મ નહીં, પરંતુ ધાર્મિક અનુભવ બનાવી દીધી.
જય સંતોષી માંનું સંગીત હતું ફિલ્મનો સૌથી મોટો આધારસ્તંભ
સંગીતકાર ચિત્રગુપ્ત અને ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર, મન્ના ડે જેવા કલાકારોનાં અવાજે ફિલ્મને અનોખો રંગ આપ્યો. ખાસ કરીને કરતી હૂં તુમ્હારા વ્રત મૈં સ્વીકાર કરો મા, મૈં તો આરતી ઉતારું રે સંતોષી માતા, મદદ કરો સંતોષી માતા, યહાં વહાં જહાં તહાં મત પૂછો કહાં, મત રો મત રો આજ રાધિકે આજે પણ ભક્તિ-સ્થળોમાં ગવાય છે. ફિલ્મના ભજન માત્ર ગીતો નહોતા, એ તો દરેક દર્શક માટે ભાવવિભોર અનુભવ હતા.
ભક્તિનો જુવાળ : સિનેમા હૉલમાં પૂજા, પ્રસાદ અને વ્રત

ફિલ્મની રિલીઝ બાદ સમગ્ર દેશમાં એક અનોખું દશ્ય જોવા મળ્યું… મહિલાઓ સિનેમા હલમાં શ્રીફળ વધેરતા, ભજન સાથે હાથ જોડીને પ્રાર્થના કરતા. સિનેમાઘરોમાં મહીનાઓ સુધી હાઉસફુલ બોર્ડ લટકતા રહ્યા. ફિલ્મ પ્રભાવિત થઈ સંતોષી મા વ્રત લાખો પરિવારોમાં લોકપ્રિય બન્યું. ફિલ્મે લોકોના જીવનમાં એવો વિશ્વાસ જગાવ્યો કે મોટા ભાગે દર્શકો ફિલ્મને યાત્રા સમાન માનતા.
બૉક્સ ઑફિસ કલેક્શન – નાનકડા બીજથી મહાવૃક્ષ
માત્ર થોડા લાખ રૂપિયામાં બનેલી આ ફિલ્મ 5 કરોડથી વધુ કમાણી કરી. તે સમયે આ આંકડો અવિશ્વસનીય માનવામાં આવતો. 1975માં રિલીઝ થયેલી શોલે જેવી મેગાહિટ સાથે સ્પર્ધા હોવા છતાં, આ ફિલ્મ એ વર્ષની ટોચની ગ્રોસિંગ ફિલ્મોમાં સામેલ રહી. જય સંતોષી માતા જેવી ઓછા બજેટની ફિલ્મ માટે ઐતિહાસિક સિદ્ધિ કહેવાય.
કલાકારોનો પ્રભાવ
ફિલ્મના સક્ષમ કલાકારોએ તેમના અસરકારક અભિનય થકી દર્શકો પર અમીટ છાપ છોડી. ખાસ કરીને કાનન કૌશલ (સત્યવતી) – નિષ્કપટતા અને પીડાને અસરકારકપૂર્વક પરદા પર રજૂ કરી. તો એ સમયની પીઢ અભિનેત્રી અનિતા ગુહાએ સંતોષી માની ભૂમિકા એટલી જીવંત હતી કે ફિલ્મ જોવા જનારા તેમને માતા તરીકે પૂજતા.
સિનેમાના ઇતિહાસમાં અનોખું સ્થાન મેળવ્યું. જય સંતોષી માં ફક્ત કમર્શિયલ હિટ નહોતી, પરંતુ ઓછા બજેટની ફિલ્મ પણ લોકોના દિલ જીતી શકે છે એનું જીવંત ઉદાહરણ પૂરૂં પાડ્યું.
‘જય સંતોષી માંએ એ પણ પુરવાર કર્યું કે ફિલ્મ ગણના તેના બજેટથી નહીં પણ એની ભાવના, વિશ્વાસ અને હૃદયને સ્પર્શવાની ક્ષમતામાં છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.