“અરાઈઝ! અવેઈક!” નાટક માત્ર એક નાટ્યપ્રસ્તુતિ નહીં, પણ આજના યુવાનોના મનમાં ઊભા થતા અનેક પ્રશ્નો માટે એક વિચારપ્રેરક સંવાદ છે. ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી સર્વ પ્રથમ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનો વિજય ધ્વજ લહેરાવનાર સ્વામી વિવેકાનંદ જો ૨૦૨૫માં પ્રગટ થાય તો ? માત્ર સો યુવાનની મદદથી સમગ્ર વિશ્વની દિશા બદલવાની તાકાત ધરાવતાં સ્વામીજી આજની પરિસ્થિતિમાં કંઈ કરી શકે? યુવાનોનુ પ્રતિનિધિત્વ ધરાવતાં દેશમાં આજે યુવાનો સમક્ષ જ અનેક સમસ્યાઓ ઊભી છે.બેરોજગારી, વ્યસન, આત્મહત્યા, અને જીવનના લક્ષ્યની શોધ. જો આધુનિક ટેકનોસેવી યુવાનની મુલાકાત સ્વામીજી સાથે થાય તો શું બંને વચ્ચે સંઘર્ષ સર્જાય કે સમન્વય? વર્તમાન સમસ્યાઓનો ઉકેલ ટેકનોસેવી યુવાન પાસે છે કે સ્વામી વિવેકાનંદના વિચારોમાં? આવા અનેક પ્રશ્નો છે, પણ તેના જવાબ “અરાઈઝ! અવેઈક!” નાટક પાસે છે. આ નાટક યુવા પેઢીને આત્મનિરીક્ષણ, આશા અને જીવનમૂલ્યો તરફ દોરી જાય છે, અને દર્શકોને સ્વામીજીના કાલાતીત શાણપણ સાથે આધુનિક સંઘર્ષોને સાંકળવાનો અનોખો અનુભવ આપે છે.
સ્વામી વિવેકાનંદના જીવન દર્શન અને આધુનિક યુવાનોના જીવન સંઘર્ષોને આધારે રચાયું છે. આમંત્રિતો માટે યોજાયેલા આ નાટકનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું છે. આ નાટક ટેકનોસેવી, બેરોજગાર યુવાન નરેન્દ્ર અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા સ્વામી વિવેકાનંદ વચ્ચેની કાલ્પનિક મુલાકાત પર આધારિત છે, જેમાં આધુનિક યુવાનોની સમસ્યાઓ, વ્યસનમુક્તિ, આત્મહત્યા જેવી ગંભીર સમસ્યાઓ અને જીવનના ઉદ્દેશ વિશે સંવાદો દ્વારા ઉંડો સંદેશ આપવામાં આવે છે. “અરાઈઝ! અવેઈક!” માત્ર નાટક નહીં, પણ યુવા પેઢી માટે આત્મનિરીક્ષણ અને જીવનમૂલ્યો તરફ દોરી જતો એક સાંસ્કૃત્તિક સંદેશ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 વર્ષથી ચાલતા આ નાટકનો આ સોળમો શો છે. તાજેતરમાં જ સુરત અને રાજકોટ ખાતે યોજાયેલા શોને ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. નાટકનું લેખન, દિગ્દર્શન, મુખ્ય અભિનય અને સંગીત સંકલન મનીષ પારેખ દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્ય કલાકાર-કસબીઓમાં મનીષ પારેખ, શ્રીનીલ જાની,સુનિલ ઓઝા, નેહા પારેખ, ડૉ. નયના ભાલોડિયા, કેપ્ટન જયદેવ જોશી, સુહેલ શેખ, મિતુલ સોનપાલ, વર્ણમ પારેખ, દ્વિત શાહ, નભ્ય મહેતા, દેવર્ષિ પંડ્યાનો સમાવેશ થાય છે. મ્યુઝિક અને વિડિયો ઓપરેશન શિવ ત્રિવેદી, પ્રકાશ સંચાલન રમિઝ સાલાણી અને મેકઅપ હરેશ તુરી સંભાળી રહ્યા છે.
