0

Share

મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા કેટલાક જિલ્લાઓ માટે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ’

Post details:

મુંબઈ પ્રતિનિધી, તા. ૮: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાયો છે. હવે હવામાન વિભાગે પુણે સહિત દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.

એપ્રિલના અંત દરમિયાન પુણે શહેર અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી છે. રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ નોંધાયો છે.

હવામાનમાં થયેલા બદલાવને કારણે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ મુજબ, પુણે સહિત કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળીના કડાકા, હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

આ જિલ્લાઓ માટે જાહેર થયું યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ૯ મેના રોજ રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, બીડ, નાંદેડ, લાતુર અને ધારાશિવ જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ હવામાનશાસ્ત્રી અનુપમ કશ્યપીએ જણાવ્યું હતું કે, ૮ મેના રોજ પુણે અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આગામી ૨૪ કલાક દરમિયાન મુંબઈ સહિત કોંકણ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન યથાવત રહેવાની શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ઉનાળાના સંવહનના કારણે મોડી સવારથી બપોર દરમિયાન ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને સાંજના સમયે વરસાદ પડી શકે છે. પુણેમાં પણ છૂટાછવાયા વરસાદ સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

બુધવારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન વાશિમમાં ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

મધ્ય મહારાષ્ટ્રમાં પુણેમાં ૩૯.૨, અહિલ્યાનગરમાં ૩૮.૨, જલગાંવમાં ૪૧.૨, કોલ્હાપુરમાં ૩૭.૪, મહાબળેશ્વરમાં ૩૨.૨, માલેગાંવમાં ૪૦, નાસિકમાં ૩૭.૫, સાંગલીમાં ૩૯.૩, સતારામાં ૩૮.૭ અને સોલાપુરમાં ૪૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

કોંકણ વિસ્તારમાં અલીબાગમાં ૩૨.૮, રત્નાગિરીમાં ૩૪.૬, દહાણુમાં ૩૪.૨ અને મુંબઈમાં ૩૩.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

મરાઠવાડા અને વિદર્ભ વિસ્તારમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહ્યો હતો. અકોલામાં ૪૨.૧, અમરાવતીમાં ૪૧.૨, ચંદ્રપુરમાં ૪૦.૪, નાગપુરમાં ૩૯.૬ અને વર્ધામાં ૪૧.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.