મુંબઈ પ્રતિનિધી, પશ્ચિમ રેલ્વેમાં ફરજ બજાવતા બે મોટરમેનના એક જ દિવસે હૃદયરોગના હુમલાથી થયેલા મોત બાદ રેલ્વે કર્મચારીઓમાં ભારે શોક અને ચિંતા ફેલાઈ ગઈ છે. મોટરમેન, ટ્રેન મેનેજરો અને વિવિધ રેલ્વે યુનિયનોએ આ ઘટનાને કામના અસહ્ય તણાવ સાથે જોડીને ગંભીર મુદ્દો ગણાવ્યો છે.
મૃતક મોટરમેન અનુજ પ્રસાદ સિંહ અને મોહસીન ખાન બંને પશ્ચિમ રેલ્વેમાં સેવા આપી રહ્યા હતા.
ફરજ દરમિયાન જ મોહસીન ખાનને આવ્યો હાર્ટ એટેક
માહિતી અનુસાર, મોટરમેન મોહસીન ખાન ચર્ચગેટ ખાતે એક લોકલ ટ્રેન છોડીને બીજી ટ્રેન સંભાળવા જઈ રહ્યા હતા ત્યારે ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક તેમની તબિયત અચાનક બગડી ગઈ.
તેમને છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે થોડા જ સમયમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.
રજા દરમિયાન અનુજ સિંહનું મોત
બીજી તરફ, મોટરમેન અનુજ પ્રસાદ સિંહ પોતાના ગામ પટણામાં રજા પર હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હોવાનું જણાવાયું છે.
એક જ દિવસે બે મોટરમેનના મોતથી સમગ્ર પશ્ચિમ રેલ્વેમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
ચર્ચગેટ સ્ટેશન પર શોકસભા
મંગળવારે ચર્ચગેટ રેલ્વે સ્ટેશન પર બંને કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવા વિશેષ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં મોટરમેન, ટ્રેન મેનેજરો, રેલ્વે કર્મચારીઓ અને વિવિધ રેલ્વે યુનિયનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
ઘણા કર્મચારીઓએ આ ઘટના બાદ વધતા કામના બોજ અને આરામના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
“નાસ્તો કરવા પણ સમય મળતો નથી”
રેલ્વે કર્મચારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓથી પશ્ચિમ રેલ્વેની લોકલ ટ્રેનો વારંવાર મોડું દોડી રહી છે.
તેના કારણે મોટરમેન અને ટ્રેન મેનેજરોના આરામના સમય પર સીધી અસર પડી રહી છે.
ઘણા કર્મચારીઓએ દાવો કર્યો કે તેમને યોગ્ય સમયે નાસ્તો કે બપોરનું ભોજન કરવાની પણ તક મળતી નથી.
વધતા તણાવથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર
રેલ્વે કર્મચારીઓ અને યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સતત વધતા કામના તણાવ, અનિયમિત સમયપત્રક અને પૂરતા આરામના અભાવે ઘણા મોટરમેન શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ગયા ડિસેમ્બરથી અત્યાર સુધી અનેક મોટરમેનને તબીબી કારણોસર “અનફિટ” જાહેર કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.
કામના કલાકોમાં સુધારાની માંગ ફરી તેજ
રેલ્વે યુનિયનો છેલ્લા ઘણા વર્ષોથી મોટરમેન અને ટ્રેન મેનેજરોના કામના કલાકોમાં સુધારો કરવાની માંગ કરી રહી છે.
બે કર્મચારીઓના મૃત્યુ બાદ હવે ફરી એકવાર રેલ્વે તંત્ર પર દબાણ વધી રહ્યું છે કે કર્મચારીઓના આરોગ્ય અને કામની પરિસ્થિતિ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
