મુંબઈ પ્રતિનિધી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે જોડાયેલા બેંક કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સીઓને સીધો ધરપકડનો આદેશ આપી શકાય નહીં અને તે તેમના વિવેકાધિકારનો વિષય છે.
આ મામલો અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) સાથે જોડાયેલા કથિત લોન અને બેંક કૌભાંડને લઈને ચાલી રહેલી જાહેર હિત અરજી (PIL) સાથે સંબંધિત છે.
૪૦ હજાર કરોડથી વધુના કૌભાંડનો આરોપ
ભૂતપૂર્વ અધિકારી ઈ.એ.એસ. શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ADAG જૂથની કંપનીઓએ ૪૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું લોન કૌભાંડ કર્યું છે.
અરજીમાં આ સમગ્ર મામલાની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી.
સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?
સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટને માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં સાત કેસોમાં અંદાજે ૨૭,૩૩૭ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ મામલે કુલ નવ એફઆઈઆર નોંધાઈ છે. જેમાંથી બે કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, જ્યારે સાત કેસોમાં હજુ તપાસ ચાલુ છે.
પ્રશાંત ભૂષણે ઉઠાવ્યો ધરપકડનો મુદ્દો
અરજદાર પક્ષ તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે સીબીઆઈ અને ઈડી બંને મોટા કૌભાંડની વાત કરી રહ્યા છે, ત્યારે અનિલ અંબાણીની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી?
તેમણે કહ્યું હતું કે હજારો કરોડના કથિત કૌભાંડ છતાં કોઈ ધરપકડ ન થવી આશ્ચર્યજનક છે.
તપાસને ‘સનસનાટીભરી’ ન બનાવવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ચર્ચા અથવા સનસનાટી માટે ધરપકડના આદેશ આપી શકાય નહીં.
બેન્ચે જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓએ ધ્યાન તપાસ અને પુરાવા એકત્રિત કરવા પર કેન્દ્રિત કરવું જોઈએ. કોઈ વ્યક્તિની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે કે નહીં, તે તપાસ એજન્સીઓ નક્કી કરશે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કાયદા મુજબ ધરપકડ કરવી કે નહીં તે તપાસ એજન્સીઓના વિવેકાધિકાર પર આધારિત છે.
કપિલ સિબ્બલે અનિલ અંબાણીનો બચાવ કર્યો
અનિલ અંબાણી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે અરજદારનો મુખ્ય હેતુ માત્ર અનિલ અંબાણીની ધરપકડ કરાવવાનો લાગે છે.
સિબ્બલે કહ્યું હતું કે જ્યારે હજુ કાર્યવાહી પૂર્ણ થઈ નથી, ત્યારે અરજદાર પાસે ચાર્જશીટની નકલ કેવી રીતે પહોંચી તે પણ પ્રશ્નાર્થ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનિલ અંબાણી તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને શક્ય છે કે તેમની સાથે પણ છેતરપિંડી થઈ હોય.
