હડતાળનો અંત: સરકારના આશ્વાસન બાદ નિર્ણય
સુધારેલી પેન્શન યોજના સહિત ૧૮ માંગણીઓ માટે રાજ્યભરના અંદાજે ૧૮ લાખ સરકારી કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવેલી હડતાળ આખરે ચોથા દિવસે સમેટાઈ ગઈ છે. સરકાર તરફથી મળેલા આશ્વાસનોને ધ્યાનમાં રાખીને સરકારી, અર્ધ-સરકારી, શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારી સંકલન સમિતિએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
પેન્શન મુદ્દે ૧૫ દિવસમાં જાહેરનામું
સરકારએ ખાતરી આપી છે કે સુધારેલી પેન્શન યોજના અંગેનું જાહેરનામું આગામી ૧૫ દિવસમાં બહાર પાડવામાં આવશે. ઉપરાંત નિવૃત્તિ વયમર્યાદા ૬૦ વર્ષ કરવા અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અન્ય પડતર માંગણીઓ પર પણ સરકાર તરફથી સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે.
૨૧ એપ્રિલથી શરૂ થયેલી હડતાળ
રાજ્યભરના કર્મચારીઓ ૨૧ એપ્રિલથી હડતાળ પર ઉતર્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં ૨૨ એપ્રિલે મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
નિવૃત્ત કર્મચારીઓની મુશ્કેલી
રાજ્યની સુધારેલી રાષ્ટ્રીય પગાર યોજના ૧ માર્ચ, ૨૦૨૪થી અમલમાં મુકાઈ હોવા છતાં તેની પ્રક્રિયા, નિયમો અને માર્ગદર્શિકા જાહેર ન થતા ૧ માર્ચ બાદ નિવૃત્ત થયેલા લગભગ ૬૫૦૦ કર્મચારી અને શિક્ષકોને કામચલાઉ પેન્શનનો લાભ મળ્યો નહોતો. આ કારણે સંબંધિત કર્મચારીઓ ગંભીર નાણાકીય મુશ્કેલીમાં મુકાયા હતા.
મુખ્યમંત્રી સ્તરે પણ ચર્ચા
આ મુદ્દાને ગંભીરતાથી લઈને સરકારે આગામી પંદર દિવસમાં જરૂરી જાહેરનામું બહાર પાડવાની ખાતરી આપી છે. ઉપરાંત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં બાકીની ૧૮ માંગણીઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ સરકાર તરફથી લેખિત અહેવાલ કર્મચારી સંગઠનોને સોંપવામાં આવ્યો હતો.
સત્તાવાર રીતે હડતાળ સ્થગિત
આ ખાતરીઓ પર ચર્ચા કરવા માટે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સ્તરના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ સંકલન સમિતિના કન્વીનર વિશ્વાસ કાટકરે જાહેરાત કરી હતી કે ૨૧ એપ્રિલથી ચાલી રહેલી અનિશ્ચિત હડતાળ ૨૫ એપ્રિલથી સ્થગિત કરવામાં આવે છે.
