મુંબઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં અંદાજે ₹1000 કરોડના ચાર મોટા ટેન્ડર રદ કર્યા બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો વધ્યો છે. શાસક પક્ષ આ નિર્ણયને ભ્રષ્ટાચાર પર લગામ ગણાવી રહ્યો છે, જ્યારે વિપક્ષે ટેન્ડર પ્રક્રિયામાં જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે.
મુંબઈ પ્રતિનિધી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ટેન્ડર રદ થવા અંગે શિવસેના (ઠાકરે જૂથ)ના કોર્પોરેટર સચિન પડવાલે મેયર રિતુ તાવડે અને કમિશનર અશ્વિની ભીડેને પત્ર લખી ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
પડવાલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા એક દિવસમાં પૂર્ણ થતી નથી. ટેન્ડર જારી કરતા પહેલાં સંબંધિત વિભાગના વડાઓથી લઈને વધારાના કમિશનરો અને કમિશનર સુધી દરેક સ્તરે મંજૂરી લેવામાં આવે છે. આવા સંજોગોમાં, જો ટેન્ડર પ્રક્રિયા ખોટી હતી, તો મંજૂરી આપનારા વરિષ્ઠ અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે, તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ટેન્ડર રદ કરીને વહીવટીતંત્ર પોતાની કામગીરીને યોગ્ય ઠેરવી રહ્યું છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન થયેલા સમયનો બગાડ તેમજ સ્ટેશનરી અને વહીવટી ખર્ચ માટે કોણ જવાબદાર છે તે પણ નિર્ધારિત થવું જોઈએ.
પડવાલે માંગ કરી છે કે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની તપાસ કરવામાં આવે અને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે સૂચન કર્યું છે કે થયેલો ખર્ચ જવાબદાર અધિકારીઓના પગારમાંથી વસૂલ કરવામાં આવે.
